આ છે ગુજરાતનું મીની અમરનાથ: જ્યાં બિરાજમાન છે ટપકેશ્વર મહાદેવ, જાણો મહત્વ અને પૌરાણિક ઇતિહાસ

ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને ગીર જંગલ અને ગીર બોર્ડર વિસ્તારમાં અનેક પ્રાચીન જગ્યાઓ આવેલી છે. દરેક જગ્યાનો પ્રાચીન ઇતિહાસ મહત્વનો છે. સાથે જ તેનું આધ્યાત્મિક મહત્વ પણ અદકેરું છે. મેઘાવી ઋષિની તપશ્ચર્યાથી ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકી તે જગ્યાએ સ્વયંભુ શિવલિંગનું નિર્માણ થયુ, જે ટપકેશ્વર મહાદેવ નામથી ઓળખાય છે.

મહાદેવના દર્શનનો લાભ ઠેક ઠેકાણેથી ભાવિકો દ્વારા લેવામાં આવી રહ્યો છે. પૌરાણિક સમયમાં મેઘાવી ઋષિ દ્વારા ઘણા વરસો સુધી આ જગ્યામાં તપશ્ચર્યા કર્યા બાદ મહાદેવ પ્રસન્ન થયા અને મેઘાવી ઋષિએ જ્યાં તપશ્ચર્યા કરી હતી તે ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકવાનું શરૂ થયું અને કાળક્રમે પાણીના ટીપા પડતા હતા તે જગ્યાએ સ્વયંભુ શિવલિંગનું નિર્માણ થવા પામ્યું. બિંદુ સ્વરૂપે શિવલીંગનુ નિર્માણ થયુ ત્યારથી આ જગ્યાને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ગીરની લીલી વનરાજી વચ્ચે બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે 5 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડે છે.

ટપકેશ્વર મહાદેવનું મંદિર આરક્ષિત જંગલમાં હોવાને કારણે અહી દર્શનાર્થીઓએ પોતાની સુરક્ષા જાતે રાખવી પડે છે. ગુફામાં આવેલા શિવલિંગના દર્શન કરવા માટે ભક્તો કષ્ટ વેઠીને પણ અહી આવે છે. ગુપ્ત સરસ્વતી નદીને કાંઠે આવેલું ટપકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર હોવાને કારણે ખાસ કરીને શ્રાવણ માસમાં અને શિવરાત્રી દરમ્યાન અહી ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અહી આવેલી ગુફાઓ વર્ષમાં એક વાર પાણીથી ભરાઈ જાય છે. જેને આજ દિન સુધી કોઈ જોઈ શક્યું નથી.જેને મહાદેવનો એક ચમત્કાર માનવામાં આવી રહ્યો છે.

જે ગુફામાં ટપકેશ્વર મહાદેવ બિરાજે છે તે ગુફામાં પ્રાણવાયુની ભારે અછત હોવા છતાં ભક્તો આ ગુફામાં કલાકો સુધી બેસીને ભોળાનાથની આરાધના કરે છે.
ગીરમાં આવેલી આ ગુફાઓમાં જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલીંગ ઉત્પન્ન થાય છે. ટપકેશ્વર મંદિર ભક્તોમાં મીની અમરનાથ તરીકે પણ ઓળખાય છે. ગીર સોમનાથ જિલ્લાને કુદરતની ઘણી બક્ષિસ મળેલી છે. આ જિલ્લામાં ગીરનું જંગલ, પહાડો, સમુદ્ર, નદી અને ઝરણાં સાથે વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ પણ અહીં બિરાજે છે.

આ પણ વાંચો  રામ મંદિર માટે ઘરે-ઘરે આપવામાં આવેલ અક્ષતનું શું કરવું? કઈ રીતે કરશો ઉપયોગ? જાણો માન્યતા

ગીરમાં અનેક પ્રાચીન તેમજ દુર્લભ મંદિરો પણ આવેલા છે. ગિરગઢડા તાલુકાનાં હરમડિયા ગામથી 5 કિલોમીટર દૂર ફરેડા ગામનાં ઘનઘોર જંગલ વિસ્તારમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મહાદેવનુ મંદિર મહાભારતકાળનું હોવાની લોકવાયકા છે. અહીં વિશાળ ગુફાઓ પણ આવેલી છે. ગુફામાં પર્વત પરથી પાણી ટપકે અને તે પાણીના ટીપાં દ્વારા સ્વયંભૂ શિવલિંગ બને છે. આથી અહીં જે શિવલિંગો છે તે પાણીનાં ટપકવાથી બનતા હોઈ આ મહાદેવ ટપકેશ્વર મહાદેવ કહેવાય છે.

શિવરાત્રી દરમિયાન આ દુર્ગમ સ્થળે શિવભક્તો અચૂક દર્શનાર્થે આવે છે. સામાન્ય રીતે જામવાળા અને ગીરગઢડાનો જંગલ વિસ્તાર સિંહો અને અન્ય પશુપક્ષીઓનાં અવાજથી ગુંજતો હોય છે. પરંતુ આ જંગલ શિવરાત્રી દરમ્યાન બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠે છે. ગીરની વચ્ચે આવેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર ગુફામાં હોવાથી અને અહીં પાણી ટપકવાથી સ્વયંભૂ શિવલિંગ બનતા હોઈ હજારો લોકોની આસ્થાનું પ્રતિક બન્યું છે. ગીર જંગલમાં પાંચ કિલોમીટર ઉબડ ખાબડ રસ્તા પર પગપાળા ચાલીને આવનારા શ્રદ્ધાળુઓ ટપકેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા જ તરોતાઝા બની જાય છે.

કુદરતનાં ખોળા સમાન ગીરમાં આવેલા આ મંદિરની આજુબાજુ કુદરતી પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા મળે છે. અહી આવતાજ ભાવિકોને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. આ મંદિરને મીની અમરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર શ્રદ્ધાળુઓને અહીં સિંહો સાથે પણ ભેટો થઈ જાય છે. ટપકેશ્વર મહાદેવ મંદિર અન્ય શિવ મંદિર કરતા અલગ તરી આવે છે. કારણ કે ગીર જંગલની વચ્ચે આવેલું આ મંદિર માનવ સર્જિત નથી અને વિશાળકાય પહાડની અંદર આવેલી કુદરતી ગુફા છે. 50 ફૂટ ઊંડી ગુફાની અંદર અનેક શિવલીંગો આવેલા છે. જે શિવલીંગો પર ગુફાની અંદરથી સતત પાણી ટપકયાં કરે છે.

ગુફાની અંદર જાણે કુદરતી એસી હોય તેવો ભાવિકોને અહેસાસ થાય છે. ગુફામાં પ્રવેશતા જ ઠંડક અને શીતળતાનો અહેસાસ થાય છે. એવી પણ માન્યતા છે કે આસ્થા વગર માત્ર કુતુહલ વશ આ ટપકેશ્વર મહાદેવની ગુફામાં કોઈ વ્યક્તિ લાંબો સમય બેસી શકતું નથી. મહાદેવના મંદિરે ભાવિકો માનતા પણ માને છે. ટપકેશ્વર મહાદેવ તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. ગીર ગઢડાનાં ફરેડા ગામ નજીક આવેલા ઘનઘોર જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે અનોખા ભાવ સાથે ગુજરાતભરમાંથી શ્રધાળુઓ ઉમટી પડે છે. અને નજીકનાં ગ્રામ્ય પંથકમાંથી આવતા વૃદ્ધ માણસો આ મંદિરનાં દર્શન કરી અમરનાથ યાત્રા જઈ આવ્યા હોવાનો અહેસાસ કરે છે.

Leave a Comment