છેલ્લી મેચમાં હાર થાય તો શું થશે ભારતનું? સેમી ફાઈનલમાં રહેશે કે જશે? અદ્દભુત સમીકરણ થશે

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયા જોરદાર ફોર્મમાં છે. ભારત 8માંથી 8 મેચ જીત સાથે પોઈન્ટ ટેબલ પર નંબર વન છે અને હવે તેની છેલ્લી મેચ 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે છે. પરંતુ અહીં સવાલ એ છે કે જો કદાચ નેધરલેન્ડ સામેની છેલ્લી મેચમાં ભારતનો પરાજય થાય તો શું ભારત સેમી ફાઈનલમાં રહેશે કે નહીં. જવાબ સ્પસ્ટ છે હારના કિસ્સામાં પણ ભારતને સેમી ફાઈનલમાંથી રમતા કોઈ નહીં રોકી શકે. કારણ કે વર્લ્ડ કપમા ભારતની જીત કંઈ જેવી તેવી નથી. ભારતે વર્લ્ડ કપની બધી 8 મેચમાં જીત મેળવી છે.

ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાએ સેમી ફાઈનલમાં જમાવ્યું સ્થાન

હાલમાં ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને બાકીની બે જગ્યા માટે 6 ટીમ વચ્ચે જંગ ચાલુ જ છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 15 નવેમ્બરે ટીમ ઈન્ડીયા પહેલી સેમી ફાઈનલ રમશે. આમ તો ટીમ ઈન્ડીયાનું વાનખેડે સ્ટેડિયમમાં સેમી ફાઈનલમાં રમવું નક્કી છે પરંતુ તે બદલાઈ શકે છે તેને માટે એક સ્થિતિ જવાબદાર ગણાશે.

બીજા નંબરની ટીમ બદલાઈ શકે

  • હાલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના સરખા 12-12 પોઈન્ટ છે એટલે સેમી ફાઈનલની બીજા નંબરની ટીમ બદલાઈ શકે છે.

ક્વોલિફાયના કિસ્સામાં પાકિસ્તાનને મુંબઈમાં કેમ નહીં રમાડાય સેમી ફાઈનલની મેચ

હકીકતમાં મુંબઈમાં 2008માં આતંકી હુમલો થયો હતો જે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષિય શ્રેણી રમવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના ખેલાડીઓને મુંબઈમાં ઉતરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ નક્કી કરવામાં આવ્યું હતું કે, જો પાકિસ્તાનની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે તો તેની મેચ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં યોજાશે, પછી ભલેને ટેબલમાં નંબર ગમે તે હોય.

પાકિસ્તાની ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થાય તો ભારતની મેચનું સ્થળ બદલાઈ શકે

સતત 8 જીત સાથે ટીમ ઈન્ડીયા ગ્રુપ સ્ટેજમાં નંબર-1ના સ્થાને છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડેમાં રમાવાની છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને મુંબઈમાં પોતાની સેમીફાઈનલ મેચ રમવાની છે. પરંતુ જો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થાય અને તેઓ ચોથા સ્થાન પર રહે તો ટીમ ઈન્ડિયાની મેચનું સ્થળ બદલાઈ જશે. પ્રથમ સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો પોઈન્ટ ટેબલમાં નંબર-4ની ટીમ સામે થશે. નંબર-4 પર પહોંચવા માટે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો વચ્ચે આકરી સ્પર્ધા છે. જો પાકિસ્તાન નંબર-4 પર રહેશે તો તેનો સામનો ભારત સામે થશે. આ સ્થિતિમાં આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.

Leave a Comment